ReadGujarati.com

સુવાક્યોનો સંચય

એપ્રિલ 29, 2006 · 5 પ્રતિભાવો

[રીડગુજરાતી પર સમગ્ર એપ્રિલ માસ દરમિયાન મૂકવામાં આવેલ સુવાક્યોનું સંકલન ]

આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે. – ભગવાન શંકરાચાર્ય

ઈશ્વર એટલે એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિઘ ક્યાંય હોતો નથી. – સેંટ ઑગસ્ટાઈન

વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો, ક્યારેય અભિમાની બની શકતો નથી. – કાકા કાલેલકર

માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ. – ગાંધીજી

મહાન મનુષ્યને બે હૃદય હોય છે : એકમાંથી રક્તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા ! – ખલિલ જિબ્રાન

નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે. – ગૌતમ બુદ્ધ

આપણું ધાર્યું થાય તો હરિ કૃપા અને જો આપણું ધાર્યું હોય એમ ન થાય તો હરિ ઈચ્છા. – પૂ. મોરારિબાપુ

પતિને ખુશ રાખવા પત્નીએ પતિને બરાબર સમજવો અને થોડો પ્રેમ કરવો. પત્નીને પતિએ ખુશ રાખવા બહુ બધો પ્રેમ કરવો પરંતુ એને સમજવાની બિલકુલ કોશિશ ન કરવી – ગુલનાર બમ્મનજી

‘મારા બાપા ખરું કહેતા હતા’ એવું માણસને જ્ઞાન થાય છે ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઈ ગયો હોય છે કે ‘મારા બાપા ખોટા છે.’ – ચાર્લ્સ વર્ડઝવર્થ

જે બોલે છે એ જાણતો નથી અને જે જાણે છે એ બોલતો નથી. – રામદાસજી

સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે એ કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે. – સ્વામી વિવેકાનંદ

સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની – વિનોબા ભાવે

દરેક કામ હિંમત અને શાંતિથી કરો. એ જ સફળતાનું સાધન છે. –સ્વામી રામતીર્થ

નમ્રતા એ સહુથી શ્રેષ્ઠ ગુણ છે. નમ્રતા બધું જ કરી શકે. એની અસર તાત્કાલિક બીજાઓ પર પડે છે. – રોબર્ટ કટલર

જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે. – જલારામ બાપા

સારા માણસો મજાકમાં જે બોલે છે, તે પથ્થરમાં લખેલા અક્ષર સમાન છે, પણ ખરાબ માણસ સોગંધ ખાઈને જે બોલે છે તે પાણીમાં લખેલા અક્ષર સમાન છે. – હિતોપદેશ

જે અન્યાય કરે છે તેને તું ક્ષમા આપ, જે તને પોતાનાથી વિખૂટા કરે છે તેની સાથે પ્રેમ કર અને જે તારા પ્રત્યે બૂરાઈ કરે છે તેના પ્રત્યે તું ભલાઈ કર. – મહમ્મદ પયગમ્બર

જેટલાં પુસ્તકો છપાય છે તેમાંના અડધા વેચાતાં નથી. વેચાયેલાંમાંથી અડધા વંચાતા નથી. વંચાયેલામાંથી અડધા સમજાતાં નથી. અને સમજાય છે તેમાંથી અડધા ખોટાં સમજાય છે. – જી.ઓ.પેયીની.

પૈસા કમાવવા માટે બુદ્ધિની જરૂર પડતી હશે, પણ એના સદુપયોગ માટે તો સંસ્કાર જ જોઈએ. – અજ્ઞાત

વિદ્યા એક વીંટી છે અને વિનય એક નંગ છે એ વિદ્યાની વીંટી વિનયરૂપી નંગથી શોભે છે. – ઈશ્વરભાઈ બ્રહ્મભટ્ટ

સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બની શકે છે, પણ જૂઠું બોલનારને 100 ટકા સત્યની ખબર હોવી જોઈએ. – ચંદ્રકાન્ત બક્ષી

એક જણ થાક્યા વિના સો વર્ષ સુધી દર મહિને યજ્ઞ કરે અને બીજો કદાપી ક્રોધ ન કરે. આ બેમાંથી અક્રોધી ચડિયાતો ગણાય. – મદનમોહન માલવીઆ.

જે અવારનવાર મૌન પાળે છે તેના જીવનમાં કલેશ ને સ્થાન નથી – ધમ્મપદ

લગ્ન સુખી થવા માટે નહીં પણ એકબીજાને વધુ સુખી કરવા માટે તમો પરણ્યાં છો – રવિશંકર મહારાજ

સૌને પોતાની પ્રગતિમાં રસ છે. બીજાની પ્રગતિમાં તમે જેટલો ફાળો આપશો, એટલી તમારી પ્રગતિ વધશે અને ઓછામાં ઓછો વિરોધ થશે. – જેને ર્ફાવલર

સંસારને જાણવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે તમારી જાત ને જાણી લો – સ્વામી રામતીર્થ

દીવા ની પાસે એકલાં બેઠાં હોઈએ અને સાથે હાથમાં પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી. – વિદ્રાન યોશીદા

માનવીનું અસ્તિત્વ એ કોઈ વાદના વિજય કરતાં વધારે અગત્યની વાત છે. – રસેલ

સંગીતની સમજણ અને સંગીત માણવું તે સાત પેઢીનાં પુણ્ય થાય ત્યારે આવે છે. – સામવેદ

જ્યારે ગુજરાતી ઘરમાં રહેતા કોઈ વૃદ્ધનું મૃત્યુ થાય છે ત્યારે ગુજરાતી સાહિત્ય એનો એક વાચક ગુમાવે છે. યુવાનોમાં ગુજરાતી સાહિત્યનું વાંચન વધે એ જરૂરી છે. – સંજય છેલ

તમે ક્યાં જાઓ છો એ જાણવાની જરૂર નથી. તમે શા માટે જાઓ છો એ પણ જાણવાની જરૂર નથી. તમે આનંદથી નીકળી પડો એ જ મહત્વનું છે. – ઓશો

જીવનધોરણ ઊંચું લાવવા બધા મથે છે. ચિંતનનું ધોરણ ઊંચું લાવવા શું? – વિનોબા ભાવે

તમે એકલા પડો અને ‘એકલતા’ લાગે તો તેનું નામ આસક્તિ અને તમે એકલા પડો અને ‘એકતા’ લાગે તો તેનું નામ વિરક્તિ. – હીરાભાઈ ઠક્કર

ગટરમાં તો આપણે સૌ કોઈ ઊભા છીએ પણ આપણામાંથી કેટલાકની નજર આકાશના તારાંઓ ભણી હોય છે. – ઓસ્કાર વાઈલ્ડ

પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ – પ્રમુખસ્વામી મહારાજ

Categories: સુવાક્યો

5 responses so far ↓